વિશ્વની સૌથી ઊંચી શિવજીની પ્રતિમાનું આજે થશે લોકાપર્ણ, શિવ ભક્તોમાં વ્યાપી ખુશી, જુઓ વીડિયો
વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું નિર્માણ પૂર્ણ થયું છે. તેનો ઉદ્ઘાટન સમારોહ આજે એટલે કે શનિવારથી શરૂ થવા જઈ રહ્યો છે. રાજસ્થાનમાં રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં બનેલી શિવ પ્રતિમાની ઊંચાઈ 369 ફૂટ છે, જેને વિશ્વ સ્વરૂપમ નામ આપવામાં આવ્યું છે.
એવું કહેવાય છે કે વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાના ઉદ્ઘાટન માટે 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવશે. વિશ્વની આ સૌથી ઊંચી શિવ પ્રતિમાને બનાવવામાં 10 વર્ષનો સમય લાગ્યો છે. આ શિવ પ્રતિમા સંત કૃપા સનાતન સંસ્થાન દ્વારા તૈયાર કરવામાં આવી છે.
સંત કૃપા સનાતન સંસ્થાનના ટ્રસ્ટી મદન પાલીવાલે શિવ મૂર્તિના અભિષેક માટે આયોજિત કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મહાદેવની પ્રતિમાના અર્પણને લગતા આ યજ્ઞમાં નવ દિવસ સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સંત કૃપા સનાતન સંસ્થાનના ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર આ દરમિયાન મોરારી બાપુની નવ દિવસીય રામ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સંત કૃપા સંસ્થાનના ટ્રસ્ટીએ જણાવ્યું કે ભગવાન શિવની આ અદ્ભુત પ્રતિમા ભક્તો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને રાજસ્થાનના પ્રવાસનને નવો આયામ આપશે. નાથદ્વારાના ગણેશ ટેકરી પર બનેલી આ 369 ફૂટ ઊંચી પ્રતિમા 51 વીઘા જમીનમાં સ્થાપિત કરવામાં આવી છે. ધ્યાનની મુદ્રામાં બેઠેલી શિવની આ પ્રતિમા કેટલાય કિલોમીટર દૂરથી દેખાય છે. રાત્રે પણ શિવ પ્રતિમા સ્પષ્ટ દેખાઈ શકે તે માટે તેને ખાસ લાઈટોથી શણગારવામાં આવી છે.
સંત કૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત આ ઉત્સવ માટે લગભગ 1.5 લાખ ચોરસ ફૂટનો પંડાલ બનાવવામાં આવ્યો છે. લગભગ બે લાખ ચોરસ ફૂટમાં ફૂડ હોલનો પંડાલ ઊભો કરવામાં આવ્યો છે. આ પંડાલો જર્મન ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યા છે. ભગવાન શિવની પ્રતિમાના અર્પણ માટે આયોજિત કાર્યક્રમમાં દરરોજ લગભગ 50 થી 60 હજાર ભક્તો એકઠા થવાની ધારણા છે. જેને જોતા આયોજકોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાનો દાવો કર્યો છે. આ વિસ્તારમાં દિવાળી જેવો નજારો જોવા મળી રહ્યો છે.
આયોજકો પાસેથી મળેલી માહિતી મુજબ દરરોજ એક લાખ લોકો પ્રસાદ ગ્રહણ કરશે. સર્વિસ કાઉન્ટર સુધી સામગ્રી પહોંચાડવા માટે અહીં ઓવરહેડ કન્વેયર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પોતે જ અદ્ભુત છે. આ કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસ્તારની મોટાભાગની હોટલોમાં તમામ રૂમ બુક થઈ ગયા છે.
The majestic statue of Lord Shiva in Nathdwara, also known as the ‘Statue of Belief’, will mesmerise you every time you see it. 📸: Vishnu Gaur #shiva #statueofbelief #mesmerise #nathdwara #explorerajasthan #travelrajasthan #padharomharedes #rajasthantourism #rajasthan pic.twitter.com/y1gqzDrxWB
— Rajasthan Tourism (@my_rajasthan) October 4, 2022
ભગવાન શિવની આ 369 ફૂટ ઊંચી પ્રતિમા વિશ્વની એકમાત્ર એવી પ્રતિમા હશે જ્યાં દર્શન માટે લિફ્ટ અને સીડી, ભક્તો માટે હોલ બનાવવામાં આવ્યા છે જ્યાં એક સાથે 10 હજાર લોકો પ્રવેશ કરી શકે છે. પ્રતિમાની ટોચ સુધી પહોંચવા માટે ચાર લિફ્ટ અને ત્રણ સીડી બનાવવામાં આવી છે. પ્રતિમાને બનાવવામાં 10 વર્ષ લાગ્યા હતા. પ્રતિમાના નિર્માણમાં 3000 ટન સ્ટીલ અને લોખંડ, 2.5 લાખ ક્યુબિક ટન કોંક્રિટ અને રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.