ગુજરાતના સોનુ સૂદ અને લોકલાડીલા ખજુરભાઇ આખરે ગોઠવાઇ ગયા, મીનાક્ષી દવેના પ્રેમમાં ક્લીન બોલ્ડ થઇ બંધાયા સગાઇના તાંતણે

ગુજરાતના લોકો માટે મસીહા બની ચૂકેલા અને સોનુ સૂદ તરીકે ઓળખાતા ખજુરભાઈ કે જેમણે તેમના કરિયરની શરૂઆત કોમેડી વીડિયો દ્વારા કરી હતી, તેઓ હાલ તેમના અંગત જીવનને લઇને ચર્ચામાં છે. ખજુરભાઇ ઉર્ફે નીતિન જાનીએ સગાઇ ભલે 8 નવેમ્બરના રોજ કરી હોય,

પરંતુ ગઇકાલના રોજ એટલે કે 5 ડિસેમ્બરે તેમણે તેમની સગાઇની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. નીતિન જાની મીનાક્ષી દવે સાથે સગાઇના તાંતણે બંધાયા છે.ખજુરભાઇએ આ માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી કેપ્શનમાં પાર્ટનર લખ્યુ હતુ અને તસવીરમાં મીનાક્ષી દવેને ટેગ કરી હતી.

જો કે, ગઇકાલના રોજ નીતિન જાનીની મીનાક્ષી દવે સાથે એક જ તસવીર સામે આવી હતી. પરંતુ આજે તેમની સગાઇની નવી તસવીરો સામે આવી છે, જેમાં તે બંનેની સાથે સાથે બીજા પણ કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. બે તસવીરો નીતિન જાનીના સાળા એટલે કે મીનાક્ષી દવેના ભાઇએ શેર કરી છે.જેમાં તે નીતિન જાનીને ગિફ્ટ આપતા જોવા મળી રહ્યા છે.

જણાવી દઇએ કે, 8 નવેમ્બરના રોજ નીતિન જાની સાથે સગાઇ બાદ મીનાક્ષી દવેએ તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી.મીનાક્ષી દવે અને ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની બંને સગાઇના આઉટફિટમાં સુંદર લાગી રહ્યા છે. ખજુરભાઇએ જેવી જ તેમની સગાઇની તસવીર મૂકી કે લોકો કમેન્ટ સેક્શનમાં તેમને શુભકામનાઓ આપવા માટે તૂટી પડ્યા.

સગાઇની તસવીરોમાં નીતિન જાની શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યા છે, જ્યારે તેમની મંગેતર મીનાક્ષી લહેંગા ચોલીમાં સુંદર લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, નીતિન જાનીને આજે કોઇ ઓળખની જરૂર નથી. તેઓ એક એવું નામ બની ગયા છે, જે ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજી રહ્યું છે. નીતિન જાની યૂટયૂબરની સાથે સાથે સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે.

નીતિન જાની આખા ગુજરાતમાં લોકપ્રિય છે, તેમણે ઘણા લોકોને રહેવા માટે પાક્કા મકાન બનાવી આપ્યા છે. નીતિન જાનીએ સોશિયલ મીડિયામાં પોતાના કોમેડી વીડિયો પોસ્ટ કરી અને ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા હતા અને તેઓ છેલ્લા ઘણા સમયથી સમાજ સેવામાં પણ સતત એક્ટિવ છે.

તૌકતે વાવાઝોડા સમયે નીતિન જાનીએ ઘણા લોકોને ખુબ જ મદદ કરી હતી અને તેમની મદદનો પ્રવાહ આજે પણ વહી રહ્યો છે. ગુજરાતમાં તેમણે 200 ઘર બનાવ્યા હતા અને લોકોને આશરો આપ્યો, ત્યારે 200 ઘર બનાવવાની ખુશીની ઉજવણી કરવા માટે તેઓ આ કામમાં જે પણ સહભાગી બન્યા હતા, તેમને લઈને 5 દિવસના દુબઇના પ્રવાસે પણ ગયા હતા. જ્યાંથી તેમણે તસવીરો અને વીડિયો શેર કર્યા હતા.

ખજુરભાઈના સેવાકીય કાર્ય જોઈને આજે આખું ગુજરાત તેમને વંદન કરે છે.ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની આજે ગુજરાતના દરેક ઘરમાં પોતાનું નામ બનાવી ચુક્યા છે. તેમણે કેટલાય લોકોને નવું જીવન આપ્યું છે, ઘણા લોકોને રોજગારી આપી છે તો ઘણા લોકોને તેમણે પાક્કા ઘર પણ બનાવી આપ્યા છે.

તો થોડા સમય પહેલા જ તેમણે બે અનાથ બાળકો માટે જે કર્યું હતું તે જોઈને પણ સૌ કોઈ તેમને વંદન કરી રહ્યું હતું.નીતિન જાનીએ બે અનાથ બાળકો જેમના માતા પિતા કેટલાય વર્ષો પહેલા જ ગુજરી ગયા હતા, તેમના માટે એક સરસ ઘર બનાવ્યું,ઘરની અંદર જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ વસાવી આપી અને તેના કારણે જ લોકોએ ખજુરભાઈને વંદન કર્યા હતા,

ખજુરભાઈનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જે બાદ પીએમ મોદીની નજરમાં પણ આવ્યો હતો અને તેઓ તે બંને બાળકો જય અને અવીને પણ મળ્યા હતા.

Team Dharmik