ગઈકાલથી ગુજરાતની માથે એલ મોટી આફત “તાઉ-તે” વાવાઝોડાની ચાલી રહી છે. આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં ભારે તબાહી જોવા મળી છે. ખેડૂતોના આંબાવાડિયા પણ વેર વિખેર બનાવી દીધા છે.. પરંતુ આ બધામાં ઈશ્વરનો ચમત્કાર કહો કે તેમના સાક્ષાત હોવાનો પુરાવો. આટલા ભયંકર વાવાઝોડાની અંદર પણ દ્વારકા અને સોમનાથ મંદિરની કાંકરી પણ હલી શકી નથી.
આ બાબતે સોમનાથ મંદિર ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, “સોમનાથ દાદાની અમી નજર ફરી એકવાર જોવા મળી છે. તેમજ દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ફરી એકવાર સાચી સાબિત થઈ છે. જેના કારણે જ અતિ ભારે પવન વચ્ચે પણ સોમનાથ મંદિરની ધજા-ત્રિશુળ અડીખમ જોવા મળી રહ્યું છે. અતિ ભારે વાવાઝોડા વચ્ચે પણ સોમનાથ મંદિરની મિલકતને નુકસાન થયું નથી.”
તો સૌરાષ્ટ્રના બીજા એક સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં પણ કોઈ જાતનું નુકશાન નથી, સોમવારે દ્વારકા મંદિરમાં અડધી કાઠીએ 52 ગજની ધજા ફરકાવવામાં આવી હતી. ભયંકર વાવાઝોડા વચ્ચે પણ મંદિરની ધજા અડીખમ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે સોમનાથ અને દ્વારકાધીશ આ બંને મંદિરો દરિયા કિનારે આવેલા છે, અને આ વાવાઝોડાની ખાસ અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે. પરંતુ આ બંને મંદિરમાં કોઈપણ જાતનું કોઈ જ નુકશાન થયું નથી.