સ્વાર્થી કે મજબુર માં? “મમ્મી, આ વર્ષે ઉનાળાની રજાઓમાં હું ઘરે આવું? મારી બધી જ બહેનપણીઓ પોતાના ઘરે જવાની છે. હું પણ આવી જાઉં?” કેટલા વર્ષો વીતી ગયા મારા હોસ્ટેલમાં
“મમ્મી, આ વર્ષે સ્કૂલમાં મેં ટોપ કર્યું છે,શાબાશ દીકરા, તું આમ જ હંમેશા સફળ થઈશ !!!” “મમ્મી, આ વર્ષે ઉનાળાની રજાઓમાં હું ઘરે આવું? મારી બધી જ બહેનપણીઓ પોતાના ઘરે જવાની છે. હું પણ આવી જાઉં?” કેટલા વર્ષો વીતી ગયા મારા હોસ્ટેલમાં રહે. તું તો મને મળવા આવે છે, પરંતુ મને ક્યારેય ઘરે નથી બોલાવતી. હવે તો મને ઘરનો કોઈ ખૂણો પણ નથી યાદ મમ્મી.”

“અરે દીકરા શું કરીશ તું અહીંયા આવીને? હું તો આખો દિવસ ઓફિસમાં હોઉ છું, અને સાંજે આવીને દુકાન ઉપર. તને ઇચ્છીને પણ સમય નહીં આપી શકું. એક કામ કરું છું, ચાલ હું જ આ વખતે એક-બે દિવસ નહિ, પરંતુ એક અઠવાડિયાની રજા લઇ અને તારી પાસે આવી જાઉં છું, બસ ખુશ?”
“સારું મમ્મી, તને જે યોગ્ય લાગે એ, ફોન મુકું છું.”
આ વાતચીત ચાલી રહી હતી 16 વર્ષની આરોહી અને તેની મમ્મી આરાધના વચ્ચે. આરાધના એક સિંગલ મધર હતી. તે પોતાની દીકરીને ખુબ જ પ્રેમ કરતી હતી, અને એટલે જ તેને સારા અભ્યાસ માટે 5 વર્ષની ઉંમરમાં જ બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધી હતી અને પોતાની જાતને સતત કામમાં સોંપી દીધી હતી.
આરોહીને પણ તેની મમ્મી પાસે એક જ ફરિયાદ હતી કે તે રજાઓમાં તેને ઘરે નહોતી આવવા દેતી. પોતે થોડા દિવસ ત્યાં રહી આવતી, પરંતુ આરોહી 5 વર્ષની ઉંમર બાદ કયારેય ઘરે નહોતી ગઈ. એનું પણ મન પોતાના ઘરે જવાનું હતું, રજાઓમાં તેની બધી જ બહેનપણીઓ પોત પોતાના ઘરે જતી, પરંતુ આરોહી નહોતી જઈ શકતી, એ વાતનું દુઃખ પણ તેને હતું.
ધીમે ધીમે દિવસો વીતતા ગયા, સમયનું ચક્ર ફરતું ગયું અને આરોહી મોટી થવા લાગી, મેનેજમેન્ટનો અભ્યાસ કરી અને તેને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સારી નોકરી પણ મળી ગઈ. આરાધનાને આ વાતની ખબર પડી ત્યારે તેને ખુબ જ ખુશી થઇ, તેને આરોહીને કહ્યું કે તે ત્યાં આવી અને તેનું ઘર સજાવી દે. પરંતુ આરોહીએ આ વખતે તેને આવવાની ચોખ્ખી ના પાડી દીધી.
આરાધનાએ કહ્યું: “શું કામ દીકરા ના કહે છે? તું એકલી કેવી રીતે બધું કરી શકીશ ? હું આવી જાઉં છું, તને પણ મદદ મળી જશે.” આરોહીએ કહ્યું: “રહેવા દે મમ્મી, જયારે મારે તારી જરૂર હતી, ત્યારે તું ખુબ જ બીઝી હતી, આજે હું બીઝી થઇ ગઈ છું, આમ પણ તું આવીશ અને બે-ચાર દિવસમાં પાછી ચાલી જઈશ, પછી તો મારે એકલી એ જ બધું સેટ કરવાનું છે ને?”
આરાધનાએ કહ્યું: “ગુસ્સે છું દીકરા?” આરોહીએ જવાબ આપતા કહ્યું: “ના બસ એમ જ !” આરાધનાએ કહ્યું: “સારું બોલ, કેવી રીતે મનાવું ?” આરોહી: “જો મમ્મી તું મને સાચે જ મનાવવા માંગે છે તો બધું જ છોડીને મારી પાસે આવી જા, હવે તો હું એટલું કમાઈ શકું છું કે આપણા બંનેનું જીવન સારી રીતે વીતી શકાશે. બાળપણ તો મારુ તારા પ્રેમના ટુકડામાં વીત્યું છે, પરંતુ હવે આગળનું જીવન મારે તારી સાથે જીવવું છે.”
આરાધના: “મન તો મારુ પણ છે તારી સાથે રહેવાનું, પરંતુ શું કરું? હું મજબુર છું, હું નહિ આવી શકું !!!” આરોહી: “મમ્મી તું કાલે મજબૂરી હતી, એ વાત મને સમજ આવતી હતી, પરંતુ આજે તો બધું જ હવે સારું થઇ ગયું છે?”
આરાધના: “હું તને નહિ સમજાવી શકું મારા દીકરા.” આરોહી: “હવે સમજી મમી, તારી સૌથી મોટી મજબૂરી હું જ છું. અને બધા કહેતા હતા કે હું મારી મમ્મીના માથે ભાર છું એટલે એ મને પોતાની પાસે નથી આવવા દેતી. અને હવે તે પોતે જ મારા વગર પોતાની દુનિયામાં ખુશ રહીને જીવવા માંગે છે. પરંતુ હું જ પાગલ હતી કે જે તને મજબુર સમજતી હતી. તું મજબુર નહીં પરંતુ સ્વાર્થી છું.
પરંતુ આજ પછી હું સ્વાર્થી છું અને તારી ભાષામાં કહું તો મજબુર !!! આજ પછી આપનો કોઈ સંબંધ નથી, રહી લે ખુશ જા તારી દુનિયામાં !! તારા વગર હું હવે મારી ઈચ્છાને મારીને જીવી લઈશ, ઓછામાં ઓછું તારી આશા તો મને નહીં રહે !!!” એટલું બોલીને જ આરોહીએ ફોન કાપી નાખ્યો. તે દિવસ પછી ઘણા સમય સુધી તેને આરાધનાને ફોન જ ના કર્યો.
એકવર્ષ પછી અચાનક જ આરોહીના ફોન ઉપર કોઈ અજાણ્યા નંબરનો ફોન આવ્યો. અને તેને તરત જ સીટી હોસ્પિટલમાં આવી જવા માટે જણાવ્યું. આરોહી તરત જ હોસ્પિટલ જવા માટે નીકળી. ત્યાં તેને જે સ્ત્રી મળી તે પોતાને આરાધનાની બહેનપણી કહી રહી હતી. તેની સાથે જ તે વોર્ડ નંબર 10માં પહોંચી જ્યાં એક સ્ત્રી વેન્ટિલેટર ઉપર હતી.
એ સ્ત્રી આરાધના જ હતી. તેને જોતા જ આરોહી ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી ગઈ. આરાધના જીવનના છેલ્લા શ્વાસ ભરી રહી હતી. તેને કઈ બોલવાની મનાઈ કરવામાં આવી હતી. આરાધનાની બહેનપણીએ તેને સાચવી અને પાણી આપ્યું. તે મહિલાએ આરોહીને એક કાગળ પણ આપ્યો, તે કાગળ વાંચતા જ તેની આંખો ભરાઈ આવી અને તેની મમ્મી સામે જ પોતે જે તેની સાથે કર્યું તેનો અફસોસ થવા લાગ્યો.
એ કાગળની અંદર આરાધનાએ આરોહીની માફી માંગી હતી અને લખ્યું હતું કે તે આરોહીની અસલ માતા હતી જ નહીં, તે તો તેને રોડના કિનારા ઉપર પડેલી મળી હતી. તેને જોતા જ તે પોતાની સાથે તેને લઇ આવી અને પાંચ વર્ષ સુધી મોટી કરી. આરાધના એક દેહવિક્રય કરનારી મહિલા હતી જેના કારણે આરોહીને સાથે રાખવું તેના માટે યોગ્ય નહોતું જેના કારણે તેને હોસ્ટેલમાં મૂકી દીધી હતી.
એ કાગળમાં આગળ પણ લખ્યું હતું કે આરોહીને નોકરી મળ્યા બાદ પણ તે તેની સાથે એટલા માટે રહેવા ના ગઈ કારણ કે તેને કેન્સર હતું. અને તે ઇચ્છતી હતી કે આરોહી હવે આરાધના વગર જ પોતાનું જીવન વિતાવે. આજે આરોહીને પોતાના કર્યા ઉપર પછતાવો થઇ રહ્યો હતો. અને પોતાની માતા ઉપર ગર્વ થઇ રહ્યું હતું. આરાહીની આંખોમાં આરાધનાને પોતાના માટેનો પ્રેમ અને સન્માન જોઈને ઘણી જ શાંતિ થઇ અને તેને જીવવના છેલ્લા શ્વાસ આરોહીની સામે જ ભર્યા !!!!