નવા નવા લગ્ન થયા, મોરબી માસીના ઘરે ગયા અને ત્યાં મળ્યું દર્દનાક મોત

મોરબીમાં 30 ઓક્ટોબર રવિવારના રોજ ઝૂલતા પૂલની ગોઝારી ઘટના સર્જાઇ . જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં કેટલાકે પોતાનો દીકરો-દીકરી તો કેટલાકે માતા-પિતા કે પછી કેટલાકનો તો આખો પરિવાર હોમાઇ ગયો છે. ત્યારે આ હોનારતમાં રાજકોટના દંપતી હર્ષ ઝાલાવડીયા અને તેની પત્ની મીરાનું પણ મોત થયું છે. હર્ષ અને મીરાના લગ્ન પાંચ મહિના પહેલા જ થયા હતા.

તેઓ લગ્ન બાદ મોરબી માસીના ઘરે જમવા માટે આવ્યા હતા અને ત્યાંથી તેઓ ફરવા ઝૂલતા પુલ પર ગયા હતા. ઝુલતા પર સર્જાયેલ દુર્ઘટનામાં મીરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે હર્ષને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ તેણે પણ પત્નીની સાથે અનંતની વાટ પકડી હતી. હર્ષ અને મીરા બંનેના મોતને પગલે ઝાલાવડીયા પરિવાર તો આઘાતમાં સરી પડ્યો છે. હર્ષ અને મીરા બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા.

દિવાળી તહેવાર હોવાને કારણે અને રજા હોવાને કારણે તેઓ વતન રાજકોટ આવ્યા હતા. શનિવારના રોજ હર્ષ અને તેની પત્ની મીરા માતા-પિતા સાથે મોરબી રહેતા માસિયાઇ ભાઇના ઘરે ગયા હતા. રવિવારે સવારે તેઓ પરત રાજકોટ આવવા નીકળવાના હતા પરંતુ પિતરાઇભાઇએ રોકાવાનો આગ્રહ કરતા તેઓ રોકાયા હતા. તે બાદ તેઓ સાંજે માસિયાઈભાઈ, તેની પત્ની અને પુત્ર સાથે ઝૂલતા પુલ ગયા હતા.

આ દરમિયાન અચાનક પુલ ધરાશાયી થતા મીરા, માસિયાઈભાઈ અને તેની પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે માસિયાઈ ભાઇના સાત વર્ષના પુત્રનો બચાવ થયો હતો અને હર્ષને ઇજા થતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જો કે, હર્ષે પણ પત્ની સાથે અનંતની વાટ પકડી હતી. હર્ષના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે એકનો એક દીકરો હતો. મારો કમાવવાવાળો દીકરો ચાલ્યો ગયો.

Team Dharmik